May 20, 2024

રશિયાનો દાવો: અમેરિકા કરી રહ્યું છે ભારતની લોકસભા ચૂંટણીમાં દખલ

અમદાવાદ: લોકસભા ચૂંટણી વચ્ચે રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાનું કહેવું છે કે અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવાનો છે. રશિયાની સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાનું કહેવું છે કે અમેરિકા વાસ્તવમાં ભારતના રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ભારતની રાજકીય સમજ અને ઈતિહાસ સમજી શકતો નથી.

મહત્વનું છે કે, ઝખારોવાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકાના રિપોર્ટના સંદર્ભમાં આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. જેનું કારણ ભારતના આંતરિક રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનું અને સામાન્ય ચૂંટણીઓમાં અવરોધ ઊભો કરવાનું છે. ઝખારોવાએ કહ્યું કે, અમેરિકાની ગતિવિધિઓ સ્પષ્ટપણે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ દર્શાવે છે, જે ભારત પ્રત્યે અપમાનજનક છે.

આ પણ વાંચો: વિવાદમાં ફસાયા બાદ સેમ પિત્રોડાએ રાજીનામું આપ્યું, કોંગ્રેસે તરત જ સ્વીકાર્યુ

ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વિશે રશિયાએ શું કહ્યું?
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસનો આરોપ લગાવતા કહ્યું કે, અમેરિકાએ હજુ સુધી આ કેસમાં ભારતીય નાગરિકોની સંડોવણી અંગે કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી. પુરાવાના અભાવે આવી અટકળો સ્વીકાર્ય નથી.

અમેરિકા ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે
ઝખારોવે કહ્યું કે અમેરિકા ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે. તેને ભારતનો ઈતિહાસ સમજાતો નથી. આ કારણે તે ભારત પર ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યો છે.