July 8, 2024

ભગવાન જગન્નાથ સહિત ભાઈ-બહેનની નેત્રોત્સવ વિધિ, ત્રણેયની આંખે પાટા બાંધ્યા

અમદાવાદઃ 147મી રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલુ છે. ત્યારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર મામાના ઘરે વેકેશન માણીને આજે પરત ફર્યા છે. તેમને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત્ રીતે પીઠિકા પર બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારબાદ ભગવાનની આંખે પાટા બાંધીને નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે.

જમાલપુર મંદિરે ભવ્ય ભંડારાનું આયોજન
જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરે આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી સાધુ-સંતો મંદિરમાં આવ્યા છે. ભંડારામાં સાધુ-સંતોને કાળી રોટી-સફેદ દાળ પીરસવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, 20 હજાર સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારો કરવામાં આવ્યો હતો. ચણા અને બટાકાનું 5 હજાર કિલો શાક બનાવવામાં આવ્યું છે. જ્યારે 10 હજાર લીટર દૂધપાક તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે કઢી પણ 10 હજાર લીટર તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરે ભંડારાનું આયોજન, કાળી રોટી-સફેદ દાળ પીરસાશે

પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર માધવ નામના ભગવાન જગન્નાથના એક મહાન ભક્ત હતા. કહેવાય છે કે ભગવાન જગન્નાથે એક ભક્તની બીમારી 15 દિવસ સુધી પોતાના પર લીધી હતી. પ્રાચીન દંતકથાઓ અનુસાર ભગવાનના પ્રખર ભક્ત માધવ દાસ ઓરિસ્સા પ્રાંતના જગન્નાથ ધામમાં રહેતા હતા. એકવાર માધવદાસને પેટમાં ગડબડ થઈ અને તે એટલો કમજોર બની ગયા કે તે બેસી શકતા ન હતા. તેમ છતાં તેમણે ઈશ્વરની સેવા કરવાનું બંધ કર્યું નહીં.

આ પછી ભગવાન જગન્નાથ પોતે પોતાના ભક્ત માધવના ઘરે પહોંચ્યા અને માધવની સેવા કરવા લાગ્યા. જે સમયે ભગવાન માધવની સેવા કરી રહ્યા હતા તે સમયે તેઓ નિદ્રાધીન હતા. જ્યારે માધવ ભગવાનના સ્પર્શથી જાગી ગયા. ત્યારે તેમણે ભગવાનને ઓળખ્યા અને કહ્યું કે ભગવાન તમે મારી સેવા કરો છો, જ્યારે તમે ઇચ્છતા તો તમે મારો રોગ મટાડી શક્યા હોત. આના પર ભગવાને માધવને કહ્યું કે જે થવાનું છે તે થશે. અત્યારે તારી માંદગીના 15 દિવસ બાકી છે, એ મને આપી દે. ભગવાને પોતાના ભક્તનો રોગ 15 દિવસ સુધી લીધો. આ જ કારણ છે કે ત્યારથી ભગવાન દર વર્ષે 15 દિવસ બીમાર રહે છે.

અન્ય એક માન્યતા
બીજી માન્યતા અનુસાર ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા રથ પર બેસીને તેમના માસીના ઘરે જાય છે. તેઓ સાત દિવસ તેમના માસીના ઘરે રોકાયા છે. પછી પાછા આવે છે. દંતકથા અનુસાર ભગવાન કૃષ્ણ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમની માસીના ઘરે ગયા અને ત્યાં સ્નાન કર્યું અને તે પછી ત્રણેય ભાઈ-બહેન બીમાર પડ્યા. આ પછી રાજ નામના ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને તેમની સારવાર કરવામાં આવી. ત્યારબાદ ત્રણેય 15 દિવસમાં સ્વસ્થ થઈ ગયા. સ્વસ્થ થયા પછી, ત્રણેય ભાઈ-બહેનો શહેરના પ્રવાસ માટે નીકળ્યા. કહેવાય છે કે ત્યારથી આ પરંપરા દર વર્ષે અનુસરવામાં આવે છે.