October 25, 2024

વાવ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જાહેરાત

બનાસકાંઠાઃ વાવ બેઠક પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ પક્ષ આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી જીત્યા હતા. ત્યારબાદ લોકસભામાં બનાસકાંઠા બેઠક પરથી તેઓ જીતતા વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. ત્યારે ચૂંટણીપંચે અહીં પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.

કોણ છે ગુલાબસિંહ રાજપૂત?
ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી શંકર ચૌધરી સામે તેમની હાર થઇ હતી. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ઉમેદવારની રેસમાં કોણ-કોણ હતું?
ગુલાબસિંહ રાજપૂત ઉપરાંત ઠાકરશી રબારી અને કેપી ગઢવી પણ દાવેદારોની રેસમાં આગળ હતા. ઠાકરશી રબારી માલધારી સમાજના અગ્રણી નેતા છે. છેલ્લાં 10 વર્ષમાં તેમણે ગ્રાઉન્ડ લેવલે ઘણી મહેનત કરીને મુખ્ય પ્રવાહના રાજકારણમાં સ્થાન બનાવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની થયેલી જીતમાં ઠાકરશી રબારીનો પણ મોટો ફાળો હતો. 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ઠાકરશી રબારી ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે ખડેપગે રહ્યા હતા.

આ બેઠક પર ઠાકોર-ચૌધરી સમાજનું પ્રભુત્વ
વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું પ્રભુત્વ છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલડું નમે છે.

વાવ બેઠકનો ઇતિહાસ
વાવ વિધાનસભામાં વાવ, ભાભર અને સુઈગામ એમ કુલ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 1985થી અત્યારસુધી 37 વર્ષનો રાજકીય ઈતિહાસ જોઇએ તો વાવ વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર 1985માં કોંગ્રેસના પરબત પટેલની જીત થઇ હતી. 1990માં જનતાદળના માવજી પટેલની જીત થઇ હતી. 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂતની જીત થઇ હતી. 2007માં ભાજપના પરબત પટેલનો વિજય થયો હતો. 2012માં શંકર ચૌધરી અને 2017 તેમજ 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. આમ, વાવ બેઠક પર ત્રણવાર કોંગ્રેસ, એકવાર જનતા દળ અને બેવાર ભાજપે જીત મેળવેલી છે.