October 17, 2024

SCO સમિટ બાદ એસ જયશંકર નવી દિલ્હી જવા રવાના થયા, પાકિસ્તાન માટે આ લખ્યું

S. Jaishankar: વિદેશ મંત્રી એસ જયશંકર SCO સમિટમાં ભાગ લીધા બાદ આજે ઈસ્લામાબાદથી ભારત જવા રવાના થઈ ગયા છે. આ સમયે તેમણે પાકિસ્તાનમાં આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશોને આત્મમંથન કરવાની સલાહ પણ આપી હતી.

નવી દિલ્હી જવા રવાના થઈ ગયા
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પુર્ણ થતાની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર નવી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. ઈસ્લામાબાદ છોડતી વખતે જયશંકર પોતાના એક્સ હેન્ડલ પર પાકિસ્તાન માટે ખાસ સંદેશ લખ્યો છે. જયશંકરે ભારત પ્રયાણ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને વિદેશ મંત્રી ઈશાક ડારનો આભાર માન્યો છે. આ સાથે તેમણે સ્વાગત અને આતિથ્ય માટે પાકિસ્તાન સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: રોકી દઈશું મદદ… ઈરાન સામે તણાવ વચ્ચે ઈઝરાયલને અમેરિકાની ચેતવણી

પાકિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય
જયશંકર છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વિદેશ મંત્રી છે. આ પહેલા કોઈ પણ ભારતીય વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ જોવા મળી રહ્યા છે. પાડોશી દેશ સાથે રાજકીય કે અન્ય સ્તરે તમામ વાતચીત બંધ છે. આ વચ્ચે તેમણે આ મુલાકાત લીધી હતી.