એલન મસ્કનું વર્ષ 2025ના ‘શાંતિ નોબેલ’ માટે નોમિનેશન, જાણો કેમ કરી પસંદગી

નવી દિલ્હીઃ યુરોપિયન સંસદના સ્લોવેનિયન સભ્ય (MEP) બ્રાન્કો ગ્રિમ્સે વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક અને ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ જેવી કંપનીઓના માલિક એલોન મસ્કને 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે સત્તાવાર રીતે નામાંકિત કર્યા છે. ગ્રીમ્સના જણાવ્યા અનુસાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થનમાં મસ્કના સતત પ્રયાસો અને વૈશ્વિક શાંતિમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે આ નામાંકન કરવામાં આવ્યું છે.
બ્રાન્કો ગ્રિમ્સે આ પ્રસ્તાવની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘આજે સફળતાપૂર્વક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિના મૂળભૂત માનવ અધિકારનું સતત સમર્થન કરી રહેલા એલોન મસ્કને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવે.’ આ નોમિનેશનમાં યોગદાન આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ‘આ પડકારજનક પ્રોજેક્ટમાં મદદ કરનાર તમામ સહ-પ્રસ્તાવકો અને સહકર્મીઓનો હૃદયપૂર્વક આભાર.’
નોમિનેશનના આ સમાચાર બાદ એલોન મસ્કના સમર્થકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Dogecoin cryptocurrency સાથે સંકળાયેલા એક ડિઝાઇનરે સોશિયલ મીડિયા પર લખ્યું, ְ‘Elon Muskને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટેના તેમના પ્રયાસોની માન્યતામાં 2025 નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.’
કેવી રીતે થાય છે પસંદગી?
નોબેલ શાંતિ પુરસ્કાર માટેની પસંદગી પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ખૂબ જ લાંબી હોય છે. નોંધણીની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે અને નોંધણી સામાન્ય રીતે ઑક્ટોબરના મધ્યમાં શરૂ થાય છે. સમયમર્યાદા પછી મૂલ્યાંકન માટે નોબેલ સમિતિને ફેબ્રુઆરીના મધ્યમાં નામાંકન સબમિટ કરવામાં આવે છે. ત્યારબાદ સમિતિ તમામ માન્ય નામાંકનોની સમીક્ષા કરે છે અને વધુ ચકાસણી માટે ઉમેદવારોની ટૂંકી યાદી તૈયાર કરે છે. આ તબક્કામાં કાયમી સલાહકારો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના નિષ્ણાત અહેવાલોને ધ્યાનમાં લેવામાં આવે છે.