બાંગ્લાદેશનો નિર્ણય મોદી કરશે… PMની સાથે મુલાકાત પર ટ્રમ્પે કરી જાહેરાત

America: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ગુરુવારે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ અંગે કહ્યું કે, બાંગ્લાદેશ વિશે પીએમ મોદી નિર્ણય લેશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટમાં અમેરિકાની કોઈપણ ભૂમિકાને નકારી કાઢી છે. તેમણે વધુમાં કહ્યું કે, પીએમ મોદી બાંગ્લાદેશ વિશે નિર્ણય લેશે. પીએમ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી જેમાં તેમણે વેપાર અને ભારત-અમેરિકા સંબંધો અંગે ચર્ચા કરી હતી.
બાંગ્લાદેશ વિશે શું કહ્યું?
હાલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ દરમિયાન જ્યારે બંને નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને રશિયા-યુક્રેન યુદ્ધની સાથે-સાથે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ સવાલના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, બાંગ્લાદેશના સંકટમાં અમેરિકા સામેલ નથી, તેમણે કહ્યું કે હું બાંગ્લાદેશના મુદ્દાને ઉકેલવા માટે પીએમ મોદી પર છોડી રહ્યો છું.
આ પણ વાંચો: ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બીજી ફ્લાઇટ 16-17 ફેબ્રુઆરીએ USથી ભારત આવશે…!
બાંગ્લાદેશમાં ગત વર્ષે થોડા સમય માટે વિદ્યાર્થીઓનું આંદોલન ચાલ્યું હતું, ત્યારબાદ આ આંદોલન એટલું હિંસક બની ગયું હતું કે તેને કારણે દેશમાં બળવો પણ થયો હતો. દેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડવું પડ્યું. આ સમયે દેશમાં કાયદો અને વ્યવસ્થા તૂટી ગઈ હતી અને ઘણા લોકો પર હુમલા થયા હતા. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું કે જો જરૂર પડશે તો ગયા વર્ષે હસીનાના પ્રત્યાર્પણની વિનંતી અંગે ભારતને રિમાઇન્ડર મોકલવામાં આવશે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ શેખ હસીના ભારત પહોંચી ગયા હતા, ત્યારથી બાંગ્લાદેશ સતત તેના પ્રત્યાર્પણની વિનંતી કરી રહ્યું છે.
હિંદુઓ પર હુમલો
બાંગ્લાદેશમાં બળવા પછી દેશમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હતી. આવા ઘણા અહેવાલો બહાર આવ્યા જેમાં હિન્દુ લોકો પર હુમલો કરવામાં આવ્યો. તેમના ઘરો અને વ્યવસાયોને આગ લગાડવામાં આવી. ઠાકુરગાંવ, લાલમોનિરહાટ અને દિનાજપુર, સિલ્હેટ, ખુલના અને રંગપુર જેવા સ્થળોએ વધુ હુમલાઓ નોંધાયા હતા. આ સાથે થોડા સમય પછી દેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી.
પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગુરુવારે ઓવલ ઓફિસમાં દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આ સમયગાળા દરમિયાન બંને નેતાઓએ વેપાર સંબંધોથી લઈને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સુધીના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા. તેમજ પીએમ મોદીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી જેમાં તેઓએ ઘણા વિષયો પર પ્રેસના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.