છત્તીસગઢ: ગારિયાબંદમાં 36 કલાકથી એન્કાઉન્ટર ચાલુ, 20 નક્સલીઓ ઠાર

Chhattisgarh: છત્તીસગઢના ગારિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 20 નક્સલીઓના મોતની માહિતી સામે આવી છે. આ ઉપરાંત મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે સવારથી કુલ્હાડીઘાટના ભાલુદીઘી પહાડીઓ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
ગઈકાલે એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બે નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી એક મહિલા છે. રાયપુર ઝોનના આઈજી અમરેશ મિશ્રાના જણાવ્યા અનુસાર આજે સૈનિકોએ 20 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. ઘટનાસ્થળેથી AK 47, SLR, INSAS સહિત ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. સૈનિકોની શોધખોળ કામગીરી ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલીઓમાં ઓડિશા રાજ્ય નક્સલીઓના વડા જયરામ ઉર્ફે ચલપતિનો પણ સમાવેશ થાય છે. જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ એન્કાઉન્ટરમાં સીસીએમ મનોજ અને ગુડ્ડુ માર્યા ગયાના પણ સમાચાર છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટર દરમિયાન એક સુરક્ષા કર્મચારી પણ ઘાયલ થયો હતો. જેને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશનમાં (ઓડિશા-છત્તીસગઢ સુરક્ષા દળો) લગભગ 1 હજાર સૈનિકોએ બંને રાજ્યોની સરહદો પર નક્સલવાદીઓને ઘેરી લીધા હતા.
આ પણ વાંચો: તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, 6 લોકોના મોત અને 31 ઘાયલ
ઓડિશા-છત્તીસગઢ સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન
માહિતી અનુસાર, છત્તીસગઢ અને ઓડિશા સુરક્ષા દળોની કુલ 10 ટીમો નક્સલવાદીઓ સામે સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. શોધખોળ દરમિયાન નક્સલીઓના વધુ મૃતદેહ મળવાની શક્યતા છે. માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહોની ઓળખ હાલમાં કરવામાં આવી રહી છે.
નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી
ઓડિશા અને છત્તીસગઢ સરહદ પર કુલ્હાડી ઘાટના જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળ્યા બાદ ઓડિશા અને છત્તીસગઢ પોલીસે મળીને 19 જાન્યુઆરીએ નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત કાર્યવાહી શરૂ કરી. કુલ્હાડી ઘાટ રિઝર્વ ફોરેસ્ટના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ નક્સલીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે.